Friday, October 30, 2020

હોમાય વ્યારાવાલા - ફર્સ્ટ લેડી ઑફ ધી લૅન્સ

 21 સપ્ટેમ્બર 2020

હોમાય વ્યારાવાલા
ઇમેજ કૅપ્શન,

હોમાય વ્યારાવાલા

ફોટો જર્નાલિઝમની વાત આવે ત્યારે સૌના મોઢે હોમાય વ્યારાવાલાનું નામ અવશ્ય આવે. 'ડાલ્ડા 13' એવું પોતાનું હુલામણું નામ ખુદ હોમાયબહેને જ રાખ્યું હતું.

આ નામ રાખવા પાછળનું કારણ હતું તેમની કારનો નંબર DLD-13.

એ જમાનામાં જ્યારે મહિલાઓ ભાગ્યે જ જાહેર જીવન કે નોકરી ધંધામાં પ્રવેશતાં તે સમયે સામાન્ય કુટુંબમાંથી આવતાં હોમાયે ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે હોમાય ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે પ્રવેશ મેળવનારાં પ્રથમ મહિલા હતાં.

એક દિવસ માણેકશા વ્યારાવાલા નામના પારસી પત્રકારને પ્રથમ વખત તેઓ રેલ્વેસ્ટેશને મળ્યાં. જેમજેમ સમય વિતતો ગયો તેમતેમ બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ. માણેકશાને ફોટોગ્રાફીનો પણ શોખ હતો તેથી હોમાય ફોટોગ્રાફી કળાથી પરિચિત થયાં અને હોમાય વ્યારાવાલાએ હિંમત કરી ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે અભ્યાસ શરૂ કર્યો.

તેઓ આ ક્ષેત્રે કામ કરનારાં ભારતના પ્રથમ સન્નારી હતાં તેથી જ હોમાય વ્યારાવાલાની 104મી જન્મજયંતીએ ગૂગલે એક ડૂડલ બનાવીને તેમને મરણોત્તર શ્રદ્ધાંજલિ આપી હતી. ગુગલે તેમને 'ફર્સ્ટ લેડી ઑફ ધ લૅન્સ'નું નામ આપી સન્માન કર્યું હતું.

હોમાય વ્યારાવાલાની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીની વાત સબીના ગડીહોકે પોતાના પુસ્તક 'ઈન્ડિયા ઈન ફોકસ કૅમેરા ક્રૉનિકલ ઑફ હોમાય વ્યારાવાલા'માં કરી છે.

હોમાય વ્યારાવાલાએ ફોટોગ્રાફર તરીકે બીજું વિશ્વયુદ્ધ અને ભારતની આઝાદીના સમયની પળોને પોતાના કેમેરામાં કેદ કર્યાં હતાં.

તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં જીવ જોખમમાં મૂકીને તસવીરો લીધેલી.

હોમાય વ્યારાવાલા

હોમાય વ્યારાવાલનો જન્મ 9 ડિસેમ્બર, 1913ના રોજ નવસારી ખાતે એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો.

પિતાનું નામ ડોસાભાઈ. શરૂઆતમાં તેઓ વ્યારા ખાતે રહ્યાં અને ત્યાર બાદ તેમનું કુટુંબ તારદેવ, મુંબઈ ખાતે જઈને વસ્યું. ત્યાં તેમના પિતા પારસી-ઉર્દૂ થિયેટરમાં કામ કરતા.

તેમણે પણ એક કલાકાર તરીકે સારી નામના મેળવી હતી. બાળપણમાં પિતાની સાથે નાટક કંપની શો કરવા જ્યાં જાય તે જગ્યાએ જતાં.

આમ બાળપણમાં તેઓ ઘણી જગ્યાએ પિતાની સાથે ફર્યા.

પ્રાથમિક શિક્ષણ પછી હોમાયબહેને મુંબઈની સેંટ ઝૅવિયર્સ કૉલેજમાંથી ઇકૉનૉમિક્સ સાથે બી.એ પાસ કર્યું અને સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ફોટોગ્રાફીનો ડિપ્લોમા કરવાનો નિર્ણય કર્યો.

અભ્યાસ પૂરો કર્યો પણ હોમાયે ફોટોગ્રાફીની તાલીમ તેમના મિત્ર માણેકશા વ્યારાવાલા પાસેથી લીધી.

હોમાય વ્યારાવાલાની પ્રથમ તસવીર 'બૉમ્બે કૉનિકલ'માં છપાઈ હતી. આ માટે તેમને એક રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. તેમણે મુંબઈના એક દૈનિકમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું અને બાદમાં આ જ ક્ષેત્રને વ્યયસાય તરીકે પસંદ કર્યું.

આ વ્યવસાયમાંથી માણેકશા સાથે પાંગરેલો પ્રેમ 1941માં લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ હોમાય અને માણેકશા દિલ્હી સ્થાયી થયાં અને તેમની વ્યવસાયીક કામગીરીનો પ્રારંભ કર્યો.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન (1939 થી 1945) તેઓ માણેકશાનાં આસિસ્ટન્ટ તરીકે 'ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયાટ અને 'બૉમ્બે ક્રૉનિકલ' નામનાં સામયિકોમાં સાથે સંકળાયેલાં રહ્યાં. આ સામાયિકે તેમની કેટલીય બ્લૅક ઍન્ડ વ્હાઈટ તસવીરો પ્રસિદ્ધ કરી હતી, જે પાછળથી ખ્યાતિ પામી.

શરૂઆતમાં હોમાય રોજબરોજની મુંબઈની જિંદગીમાં કામ કરતાં મહિલાઓની તસવીરો જ ખેંચતાં હતાં.

હોમાય વ્યારાવાલા

હોમાયે જે તસવીરો ખેંચી એમાં લાગણી અને સંવેદના કેન્દ્રસ્થાને રહેતાં. આ કારણથી તેમની તસવીરોને હંમેશાં લોકહૃદય અને મીડિયામાં સ્થાન મળતું. કારકિર્દીની શરૂઆતનાં વરસોમાં તેમણે તેમની તસવીરો તેમના પતિના નામ હેઠળ પ્રકાશિત કરવાનું પસંદ કર્યું હતું.

ફોટોગ્રાફી ક્ષેત્રે કુશળતા જોઈને 1942માં તેઓ દિલ્હી બ્રિટિશ હાઈ કમિશનની 'બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસિસ'માં ફોટોગ્રાફર તરીકે જોડાયાં. ત્યાં તેઓ રોજબરોજના જાહેર અને ખાનગી કાર્યક્રમોને કૅમેરામાં કંડારતાં.

આ તેમના જીવનનો સુવર્ણકાળ હતો. હોમાય વ્યારાવાલાનો સમય વીસમી સદીની અગત્યની ઘટનાઓને કૅમેરા થકી ડૉક્યુમૅન્ટ કરવાનો રહ્યો, જ્યાં તેમણે આઝાદી પહેલાં અને પછીની સ્થિતિને કેમેરામાં કેદ કરી એક સ્મૂર્તિમંજૂષા ઊભી કરી હતી.

એક ફોટોગ્રાફર તરીકે હોમાયની છટા અદ્ભુત હતી. તેઓ હંમેશાં સાડી પહેરતાં અને ખભે રૉલિફ્લેક્સ કૅમેરા લટકાવીને કોઈ પણ સ્થળ હોય, આગળ ધસી જતાં.

તેમનો મત હતો કે 'કોઈ પણ દૃશ્યને કૅમેરામાં કંડારવા માટે ક્ષણની પણ ક્ષણ અગત્યની છે.'

તેઓ કહેતાં "એ જમાનામાં વીજળી ન હોવાથી હું સૂવાના પલંગ નીચે ઘૂસી ગોદડાંની આડશ કરીને ડાર્કરૂમ બનાવતી હતી અને સ્લાઈડ સાફ કરતી હતી."

હોમાય વ્યારાવાલાએ તેમના સમયકાળ દરમ્યાન અનેક અવિસ્મરણીય દૃશ્યોને પોતાના કૅમેરા થકી મૂર્તિમંત કર્યાં હતાં. તેમણે બીજા વિશ્વયુદ્ધ સમયે ભારતની સ્થિતિ પોતાના કેમેરામાં કંડારી અને કાળખંડમાં ગુલામ ભારતની પરિસ્થિતિને ડૉક્યુમૅન્ટ કરી હતી.

સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તે પછીના સમયમાં હોમાયે ખેંચેલ કેટલીક તસવીરો આજે પણ પરિસ્થિતીને તાદ્રશ્ય કરે છે. હોમાયના મૃત્યુ પછી તેમણે લીધેલી અલભ્ય તસ્વીરોનો સંગ્રહ દિલ્હીસ્થિત 'ઍલ્કઝી ફાઉન્ડેશન ફૉર ધ આર્ટ્સ'માં રાખવામા આવ્યો છે. આ ફાઉન્ડેશન દ્વારા દિલ્હીમાં હોમાય વ્યારાવાલાનું ફોટો પ્રદર્શન યોજાતુ હોય છે

નહેરુ

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બી.ઓ.એ.સીની ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે તેમના મોઢામાં સિગારેટ હતી, તે જ વખતે ઇંગ્લૅન્ડના ભારત ખાતેના કમિશનરનાં પત્ની પણ સાથે હતાં.

તેઓ સ્ત્રીસન્માનની ભાવનાને વરેલા હતા તેથી તેમણે બ્રિટિશ મહિલાને જે અદાથી સિગારેટ સળગાવી આપી હતી તે ફોટો પણ હોમાયબહેને લીધેલો.

તેમણે જૅકલીન કૅનેડી, ક્વિન એલિઝાબેથ અને આઇઝન હૉવરની તસવીરો લીધી હતી જે અદ્ભુત છે.

લોર્ડ માઉન્ટબેટને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજેલો સત્કારસમારંભ, 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું તે વખતે દિલ્હીમાં લહેરાયેલા તિરંગા ઝંડાની તેમજ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ પ્રસંગે કબૂતરોને આકાશમાં ઉડાડીને આઝાદ કર્યાં તે વખતની તસવીર તેમની અમૂલ્ય તસ્વીરો છે.

આ ઉપરાંત મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમયાત્રાની તસવીરો તેમજ દલાઈ લામા નાથુ લા માર્ગે ભારતમાં પ્રવેશતા હતા તે ઘટનાનો ફોટો તેમણે 'લાઈફ' મૅગેઝિન માટે લીધો હતો.

સબીના પોતાના પુસ્તકમાં હોમાય વ્યારાવાલાની ફોટો જર્નાલીસ્ટ તરીકેની કારકિર્દીને યાદ કરતાં લખે છે :

"ગાંધીજી-સરદાર-નેહરુ-ઝીણા-માઉન્ટબેટન જેવા નેતાઓ સાથેના તેમના પ્રસંગ, તેમણે લીધેલી તસવીરો જોઈને કોણ પ્રભાવિત થયા વિના રહી શકે? જનરલ કરિઅપ્પાએ તેમનું લાડકું નામ 'એનર્જી' પાડ્યું હતું."

ડૉ.રાધાકૃષ્ણન બીજા લોકો આગળ હોમાયની ઓળખાણ 'માય લેડી ફ્રેન્ડ' તરીકે આપતા અને હોમાયના મિત્રો ગમ્મતમાં ડૉ.રાધાકૃષ્ણનને હોમાયના 'બૉયફ્રેન્ડ' તરીકે ઓળખાવતા! સરદાર પટેલ તેમને 'આપણી ગુજરાતણ' ગણીને, એકમાત્ર મહિલા તસવીરકાર તરીકે તેમના વિશે રાજીપો અનુભવતા.

હોમાય વ્યારાવાલા

આઝાદી પછી માહિતી-પ્રસારણમંત્રી તરીકે 'ફોટોગ્રાફર જોઈએ છે'ની સરકારી જાહેરાતમાં સરદારે ખાસ એક લીટી ઉમેરાવી હતીઃ 'વુમન કૅન ઑલ્સો ઍપ્લાય', જે ફક્ત હોમાયને જ લાગુ પડતી હતી. (હોમાયબહેનને સરકારી નોકરીમાં રસ ન હોવાથી તેમણે અરજી ન કરી એ જુદી વાત છે)

વરસ 1969માં હોમાયએ પોતાના પતિના નિધન બાદ ફોટોગ્રાફી છોડી દીધી હતી.

ત્યારબાદ તેમના પુત્ર ફારુક એન્જિનિયરિંગ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને હોમાય અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાયાં. તેઓ ફારૂકનાં માતા તરીકે જાણીતાં હતાં. હોમાય તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યાં હતાં ત્યારે 2010માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યાં. પુત્રના મૃત્યુ બાદ તેઓ વ્યારાથી વડોદરા આવી સ્થાયી થયાં.

વડોદરામાં રહેવાસ દરમ્યાન તેઓ પોતાનું કામ જાતે જ કરતાં. તેમને બાગકામનો શોખ હતો. તેઓ ઘરમાં નાનું મોટું કામ હોય તો જાતે જ કરતાં.

સ્વાશ્રયી હોવા છતાં વધતી જતી ઉંમરની કારણે ઘણીવાર તકલીફ વેઠવી પડતી. એક વાર ઘરમાં પડી જવાથી ફ્રેકચર થઈ ગયું હતું ત્યારે ઘરમાં તેમની સાથે કોઈ નહોતું.

પડોશીઓ તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા. છેવટે તેમને શ્વાસની તકલીફ થતાં 15મી જાન્યુઆરી 2012ના રોજ વડોદરા ખાતે 98 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

સંદર્ભ :

1.ગુજરાતના ઘડવૈયા, ગ્રંથ -2, લેખક : ડૉ. મકરન્દ મહેતા

2.હોમાય વ્યારાવાલાઃ સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ લેખક : ઉર્વીશ કોઠારી

લી મિતાલી ફેશન



Thursday, October 29, 2020

ગુજરાતના 'ભામાશા' શેઠ નાનજી કાલિદાસ મહેતા

 નાનજી કાલીદાસ મહેતા

દેશ આઝાદ થયો પણ ભાષાવાર રાજ્યોની રચના થઈ નહોતી તે વખતે ભારતીય શાસકોએ વહીવટ હાથમાં લીધો. તેમની ભરપૂર કસોટી થઈ હતી. આવું જ સૌરાષ્ટ્ર સાથે બન્યું હતું.

1948થી 1956 સુધી અસ્તિત્વમાં રહેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રથમ મુખ્ય મંત્રીપદે ઉચ્છંગરાય ઢેબર હતા. શાસન સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પડકારો હતા, જેમાનો એક પડકાર રાજ્યની આર્થિક સ્થિતિ વિશેનો પ્રશ્ન હતો.

સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી કર્ચચારીઓને પહેલો પગાર આપવા માટે સરકાર પાસે પૈસા નહોતા અને જો પહેલો પગાર ન આપવામાં આવે તો સરકારમાં અવિશ્વાસ પેદા થાય. આ વાતનો ઉકેલ ઢેબરભાઈએ શોધી કાઢ્યો.

તેઓ તાત્કાલિક મોટર લઈ પોરબંદર ગયા.

ત્યાં પહોચી નાનજી શેઠને ફોન કર્યો કે 'હું પોરબંદર આવ્યો છું.'

બપોરનો સમય હતો એટલે નાનજી શેઠે ઢેબરભાઈને કહ્યું કે "તમે ફુવારાની સામે આવેલા મારા 'સ્વસ્તિક' બંગલે આવો."

ઢેબરભાઈ તેમને ઘેર ગયા. બન્ને મળ્યા, વાતો કરી નાનજી શેઠે કહ્યું "બીજી બધી વાત પછી આવો પહેલાં જમી લઈએ. "

ઢેબરભાઈ અને નાનજી શેઠ સાથે જમ્યા. ઢેબરભાઈએ સરકારની આર્થિક પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા એટલે નાનજી શેઠે તરત જ તેમની મિલના મૅનેજરને ફોન કર્યો અને કહ્યું કે, "ચેકબુક લઈને ઘરે આવો. "

હુકમ થતાં જ મૅનેજર નાનજી શેઠના નિવાસે પહોંચ્યા. નાનજી શેઠે ઢેબરભાઈને કહ્યું, " બોલો કેટલા રૂપિયાની જરૂર છે " ત્યારે ઢેબરભાઈએ કહ્યું કે, "રૂપિયા ત્રીસ લાખની જરૂર છે. "

શેઠે તરત જ તેટલી રકમનો ચેક લખીને ઢેબરભાઈના હાથમાં મૂકી દીધો. આ રકમ કોઈ શરત વગર અને ગ્રાન્ટ તરીકે અપાઈ હતી.

આવા શ્રેષ્ઠી મહાજને પળનો પણ વિલંબ કર્યા વગર આટલી મોટી રકમ આપી રાજ્યની આબરૂ બચાવી.

ગુજરાતી પ્રજા ઉદ્યોગસાહસિક અને દરિયાખેડુ તરીકે ઓળખાય છે. શેઠ મહંમદઅલી 'હરરવાલા'થી લઈ નાનજી કાલિદાસ મહેતા સુધી કેટલાય ગુજરાતીઓએ વિદેશની ભૂમિમાં જઈ સ્વબળે વિશાળ ઉદ્યોગસામ્રાજ્ય ઊભું કર્યું. તદુપરાંત તેમણે કમાયેલા ધનથી સમાજ અને રાષ્ટ્રસેવા પણ કરી.

આવા જ એક દાનવીર અને 'ભામશા'નું બિરુદ પામનાર નાનજી કાલિદાસ મહેતા વિશે આજે વાત કરવી છે.


નાનજી કાલિદાસ મહેતાનો જન્મ જામનગર જિલ્લાના ગોરાણા ગામે 17 નવેમ્બર 1887ના રોજ થયો હતો.


તેમના વડદાદા મૂળ સલાયાના વતની પરંતુ વ્યયસાયને કારણે તેમનું કુટુંબ ગોરણા આવીને વસ્યું.


ગોરાણા ગામમાં તેમના વડવાઓ નાણાંની ધીરધાર, તેલીબિયાં, અનાજની દુકાન, આજુબાજુના ગામમાંથી આવતો કપાસ ખરીદી પોરબંદર જઈને વેચતા.


તદુપરાંત તેમની પાસે ખેતી કરવા જેટલી જમીન પણ હતી જેમાં ખાવા પૂરતું ધાન્ય વાવે અને સાથે સાથે ગાય-ભેંસો માટે ચારો પણ વવાય.


બહાર જવા માટે તેઓ ઘોડા રાખતા. તેમના વડવાઓ ખૂબ જ સંતોષ અને સાદગીથી જીવતા. તેમના કાકા ગોકળદાસ પહેલીવાર જંગબાર(આફ્રિકા) ગયા જેથી નાનજીને પણ નાનપણથી વિદેશ જવાની પ્રેરણા મળી. તેમનાં માતા જમનાબહેન સવારે ઊઠીને ઘરનું કામકાજ કરે તેમજ નાનજીને શિરામણ ખવડાવીને નિશાળે મોકલે.


શિરામણમાં બાજરીનો રોટલો, માખણ અને દહીં હોય. બાળક નાનજી આ શિરામણ ખાઈને શાળાએ જતો.


બપોરે રિસેસ પડે એટલે ફરી પાછો ગરમાગરમ બાજરીનો રોટલો, માખણ અને દૂધ ખાઈ ફરી શાળાએ જતો. શાળા છૂટે એટલે ઘરે આવી મિત્રો સાથે રમવા જવાનું અને છેક વાળુટાણે ઘરે આવવાનું.


આમ નાનજીભાઈના વડવાઓ અને નાનજીભાઈનું પ્રારંભિક જીવન ખૂબ જ શાંતિમય, સાદગીપૂર્ણ વાતાવરણમાં વીત્યું હતું.


તેઓ નવ વરસના હતા ત્યારે તેમના મામા તેમને તેમના ગામ વિસાવાડા ભણવા લઈ ગયા. ત્યાં પણ અહીંની જેમ મિત્રો સાથે મસ્તી કરતા. નજીકમાં દ્વારકાનો દરિયો એટલે બાળકો દરિયાનાં મોજાં સાથે દોડવાની રમત કરે. પરંતુ નાનજી જ્યારે દરિયામાં કોઈ બોટ જુએ તો તેનું મન વિચલિત થઈ જતું.


તેને દેશાવર ગયેલા કાકાની જેમ દરિયો ખેડવાની ઇચ્છા જાગતી. મામાને ત્યાં ચાર ચોપડી ભણીને નાનજી ગોરાણા આવ્યા. ભણવામાં તેનું ચિત્ત ન હતું તેથી તેઓ પિતા સાથે ધંધામાં જોડાયા.


નાનજી હવે વેપારમાં પૂરેપુરું મન લગાવીને કામ કરતા હતા.


હિસાબ રાખવો, જોખવાનું કામ પણ ખૂબ ચીવટથી કરતા. કપાસ કે તેલીબિયાંની મોસમ આવે એટલે ગામડાંમાંથી માલ ખરીદી પોરબંદર પહોચાડવાનું કામ નાનજીને સોંપવામાં આવતું.


આ ક્રમ દિવાળી પછીથી શરૂ થાય તે છેક વૈશાખ મહિના સુધી ચાલે.


પોરબંદર માલ લઈ જવા 15થી 20 ગાડાં તૈયાર થાય. છેલ્લા ગાડામાં નાનજી બેસે. માલ પોરબંદર પહોચે એટલે આડતિયાને માલ આપી પિતાએ જે ચીજવસ્તુઓ દુકાન માટે ખરીદવાનું કહ્યું હોય તે પ્રમાણે ખરીદી ગાડાંમાં ભરાવી ગાડાં પાછાં ગામ તરફ વળતાં.

નાનજી એક રાત ઘરે અને બે રાત ગાડામાં વિતાવતા. આ ક્રમ અમુક વરસ સુધી ચાલ્યો એટલે નાનજીનો જીવ ચકરાવે ચડ્યો.


તે દરમ્યાન ઘરે ધાર્મિક પુસ્તકોનું વાંચન થતું હતું. તેમાં એક દિવસ નાનજીના હાથમાં ધ્રુવાખ્યાન આવ્યું. તે વાંચી તેમને પણ તપ કરવાની ઇચ્છા થઈ. તેઓ તેમના મિત્ર સાથે બરડાના ડુંગરમાં તપ કરવા જતા રહ્યા.


ઘરના લોકોને ખબર પડતાં તેમને મનાવી ઘરે લઈ આવ્યા અને તેમનું મન સંસારમાં લાગી રહે તે માટે ઘરના વડીલોએ નાનજીનું લગ્ન કરવાનો વિચાર કર્યો.


તેઓ 12 વરસના હતા ત્યારે 11 વરસની કન્યા સાથે તેમનાં લગ્ન કરાવ્યાં. લગ્ન પછી કન્યા તેના પિતાને ત્યાં જ રહી હતી. પરંતુ તેમનું આ લગ્નજીવન લાંબુ ટક્યું નહીં. બાળવયે જ તેમની પત્નીનું અવસાન થયું.


રાજ્યમાં છપ્પનિયો દુકાળ પડ્યો. આ દુકાળ એવો ભયંકર હતો કે તેણે ઘણી વેપારી પેઢીઓ ડુબાડી દીધી.


આ દુકાળમાં નાનજીનો પરિવાર પણ મુશ્કેલીમાં આવી ગયો હતો. એટલામાં નાનજીના ભાઈનો વિદેશથી કાગળ આવ્યો કે 'નાનજીને તમે અહીં મોકલો જેથી તે મને અહીં આવીને મદદ કરશે.'


મોટાભાઈનો પત્ર આવતાં નાનજી ખુશખુશાલ થઈ ગયો. તેઓ પાંચ જણ પોરબંદરથી મુંબઈ ગયા અને ત્યાંથી 'ફૂલભાભી' નામના જહાજમાં મૉમ્બાસા જવા રવાના થયા.

વહાણ મધદરિયે પહોચ્યું ત્યાં તો સમુદ્રમાં આવેલા તોફાનને કારણે વહાણ હાલકડોલક થવા માંડ્યુ. પવનના સપાટાથી બચવા સઢને તોડી નાખવો પડ્યો અને વહાણમાં મૂકેલો વધારાનો સામાન પણ દરિયામાં નાખી દીધો.


વહાણની અંદર ભરાઈ જતું પાણી તેઓ ડોલથી ઉલેચવા લાગ્યા. અંતે વહાણમાં મોટી તિરાડ પડી અને વહાણ બે ભાગમાં વહેચાઈ ગયું.


આ સ્થિતિમાં બચવા તેઓએ કાળા વાવટા ફારકાવ્યા. પણ મધદરિયે મદદે કોણ આવ?


બે દિવસ પછી તોફાન શાંત પડ્યું અને વહાણ તણાતુંતણાતું એક ટાપુ ઉપર પહોચ્યું. આ ટાપુ હતો 'આઈલ-દ-માયોને' જ્યાંથી માડાગાસ્કાર ઘણું છેટે હતું.


ત્રણ દિવસનો દરિયાઈ પ્રવાસ તોફાનને કારણે ચૌદ દિવસ જેટલો લંબાઈ ગયો. આખરે તેઓ છવ્વીસમા દિવસે માડાગાસ્કર પહોચ્યા.


ત્યાંથી વહાણની મરામત કરીને મોમ્બાસાના કિનારે પહોચ્યા. નાનજીભાઈના મોટા ભાઈની દુકાન મજંગામાં હતી. ત્યાં પહોચ્યા પછી ઘરમાં રસોઈ બનાવવાથી માંડીને દુકાન ચલાવવા સુધીનું કામ તેઓ કરતા.


થોડો સમય વિત્યો હશે ત્યાં મૉમ્બાસામાં મરકી ફાટી નિકળી. તે વખતે મૉમ્બાસામાં ફ્રેંચો રાજ્ય કરતા. તેમને આ રોગ ભારતીયો દ્વારા ફેલાયો હોવાની શંકા પડી. તેમણે ભારતીયોને તેમના કાચાં મકાન સળગાવી દેવાની ફરજ પાડી. આ રીતે ઘરબાર વગરના થઈ ગયેલા ભારતીયો સ્વદેશ પાછા ફર્યા જેમાં નાનજીભાઈ અને તેમના ભાઈ પણ હતા.


નાનજીભાઈનાં સ્વપ્નો મોટાં હતાં. તેમને વિદેશમાં જઈને ખૂબ કમાવવું હતું. નાનજીભાઈએ એક દિવસ ગામના રામમદિરમાં જઈ ભગવાન સમક્ષ સંકલ્પ કર્યો કે પોતે ફરી આફ્રિકા જઈ પૈસા કમાશે.


આ સમયે નાનજીભાઈની વય માત્ર 16 વરસની હતી. એક દિવસે તેઓ કોઈને પણ જાણ કર્યા વગર પોરબંદરથી મુંબઈ પહોચી ગયા. ત્યાંથી તેઓ દક્ષિણ આફ્રિકા જતાં વહાણમાં બેઠા. પરંતુ પ્રારબ્ધ તેમને પૂર્વ આફ્રિકાના યુગાન્ડા તરફ ખેચી ગયું.


ત્યાં તેમણે જીંજા શહેરથી 45 માઈલ દૂર આવેલા કમલી ગામમાં બહેરામખાન બલોચની દુકાને નામું લખવાની નોકરી શરૂ કરી.


બલોચ હાથીદાંત અને અન્ય વન્ય પેદાશોનો વેપાર કરતા. તેમણે નાનજીને ઉઘરાણીએ મોકલવાનું શરૂ કર્યું. ત્યાં રસ્તે જતાં જંગલમાં ઝેરી જીવજંતુઓ અને ચોરનો ભય સતાવતો, પણ નાનજીભાઈ બેફિકર હતા. એક વખત તેમને બેભાન કરી તેમનો માલસામાન ચોર લૂંટી ગયા હતા.


બલોચ શેઠ સાથે તેઓ થોડો સમય રહ્યા. ત્યારબાદ નાનજીભાઈએ કમલીમાં પોતાની સ્વતંત્ર દુકાન શરૂ કરી. તેમને શરૂઆતમાં નાણાંની ભીડ હતી અને સ્થાનિક ભાષા પણ આવડતી નહોતી તેથી તકલીફ પડતી. છતાં પણ તેમને પગપાળા ફરી યુગાન્ડામાં કઈ જગ્યાએથી શું સરળતાથી મળી રહે તે માટેની શોધ શરૂ કરી.

તેમણે હાથીદાંત, મરીમસાલા, પિત્તળના તાર, ચામડાં જેવી ચીજો ખરીદી ભારત તેમજ અન્ય દેશોમાં મોકલવાની શરૂ કરી અને થોડા સમયમાં અઢળક આવક મેળવી.


આ ઉપરાંત તેમણે ભારતથી કપાસના બીજ મગાવી યુગાન્ડામાં વાવેતર શરૂ કર્યું. આ નવતર પ્રયોગથી યુગાન્ડાનું રૂ પૂરા વિશ્વમાં વિખ્યાત થયું.


યુગાન્ડામાં હવે નાનજીભાઈ પાસે અઢાર દુકાનો હતી. તેઓએ તેમના વતનથી કુટુંબના ચાર-પાંચ ભાઈઓને પણ બોલાવી લીધા હતા.


યુગાન્ડામાં ભારતીયોનો વેપાર ક્ષેત્રે મોટા પાયે દબદબો જોઈ યુગાન્ડા સરકારે એવો નિર્ણય કર્યો કે કારખાનાંના માલિક સિવાય કોઈ પણ કપાસ ખરીદી શકે નહીં. ત્યાંના ભારતીય વેપારીઓએ કોર્ટનો સહારો લઈ આ કેસ સરકાર સામે જીતી લીધો.


1916માં પૂર્વ આફ્રિકા બ્રિટિશરોના તાબામાં આવતાં ભારતીયો માટે અહીં વેપાર કરવો સરળ બન્યો અને નાનજીભાઈએ પોતાનાં બીજાં પત્ની સાથે અહીં રહેવાનું શરૂ કર્યું. તેમણે કપાસ લોઢવાના બે કારખાનાં શરૂ કર્યાં.


તેમણે હોમી ભાભા, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ મફતલાલ ગગનભાઈ અને સર પરસોત્તમદાસ ઠાકોરદાસ સાથે ભાગીદારી કરી રૂનાં કારખાનાં નાખ્યાં.


યુગાન્ડામાં તે વખતે ઇન્ફ્લુએન્ઝાનો રોગ ફેલાયો જેમાં તેમનાં પત્ની તથા બે સ્વજનનાં મૃત્યુ થયાં.


આ વખતે નાનજીભાઈ 32 વરસના હતા. ફરીથી બાળપણ જેવો વૈરાગ્ય ન આવે એટલે વડીલોએ તેમનું સગપણ કર્યું અને તેમનાં ત્રીજા લગ્ન થયાં. આ બાજુ નાનજીભાઈને કૉટનમિલ પછી સુગરમિલ શરૂ કરવાનો વિચાર આવ્યો.


આ માટે તેઓ ભારત આવ્યા. કાનપુરનાં ખાંડનાં કારખાનાં જોવા ગયા. આ વખતે તેમણે કલકત્તા ખાતેના કૉંગ્રેસના અધિવેશનમાં આફ્રિકાના પ્રતિનિધિ તરીકે પણ હાજરી આપી. તેઓ શાંતિનિકેતનમાં પણ થોડો સમય રહ્યા.


1924માં તેમણે લુગાઝી કાવલો ડુંગરમાળામાં ખાંડનું કારખાનું નાખ્યું. જાપાન, ઇટાલી, ડૅન્માર્ક, જર્મની, સ્વિત્ઝરલૅન્ડ, બેલ્જિયમ અને હોલૅન્ડ જેવા દેશોનો પ્રવાસ ખેડયો. જર્મનીના મ્યુનિક શહેરનું પ્લૅનેટેરિયમ જોઈને પોરબંદરમાં પણ 'તારામંદિર' ઊભું કર્યું.


દેશ-પરદેશમાં તેમના અનેક ઉદ્યોગ-ધંધા વિકસતા ગયા. તેમના રબ્બર, ચા અને કૉફીના બગીચા હતા.


દેશમાં તેમણે પોરબંદર ખાતે 'મહારાણા મિલ્સ' શરૂ કરી તેમજ દેશમાંથી અનેક સાહસિક યુવાનોને વિદેશમાં સ્થાયી કર્યા. તેમની ઉત્તરાવસ્થા તેમણે પોરબંદરમાં ગાળી તેમજ રાણાવાવ પાસે સૌરાષ્ટ્ર સિમેન્ટ ઍન્ડ કેમિકલ્સની સ્થાપના કરી.

નાનજી શેઠને 'ભામાશા'ની પદવી કેવી રીતે મળી તે વાત પણ જાણવા જેવી છે.


નાનજીભાઇએ કમાયેલી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કર્યો. તેમણે અનેક જગ્યાએ દાન આપ્યા. પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ અને મહિલા કૉલેજ સ્થાપી.


પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થાનનું કીર્તિમંદિરમાં રૂપાંતર, પ્લૅનેટેરિયમ, ભારત-મંદિર અને મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય જેવી સંસ્થાઓનું સર્જન કરી જન્મભૂમિનું ઋણ ચૂકવ્યું.


તેઓ એક સમાજસુધારક અને કન્યાકેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા. આટલી બધી સંપત્તિ હોવા છતાં તેઓ પોતાનું જીવન સાદાઈથી જીવતા.


બ્રિટિશ સરકારે તેમને એમ.બી.ઈ.નો ખિતાબ આપ્યો હતો.


આ ઉપરાંત પોરબંદર રાજ્ય તરફથી તેમને 'રાજ્યરત્ન'નો ઇલકાબ અને નવાનગર સંસ્થા તરફથી 'ઑર્ડર ઑફ મેરિટ'નું બહુમાન મળ્યું હતું.


તેમની ઇચ્છા હતી કે તેઓ પોરબંદરમાં ગાંધીજીનું સ્મારક ઊભું કરે. પરંતુ બાપુ જીવતેજીવત તેમનું કોઈ સ્મારક ઊભું કરવા દેવા માગતા નહોતા.


તેથી બાપુના અવસાન પછી તેમણે 79 ફૂટનું ગાંધીજીનું સ્મારક ઊભું કર્યું જેનું ઉદ્ઘાટન સરદાર પટેલના હસ્તકે કરવામાં આવ્યું.


66 વરસની વયે તેમણે પોરબંદરમાં નિવૃત્ત જીવન ગાળી પોતાનો વ્યવસાય તેમના પુત્રને સોપ્યો, જેમણે શરૂ કરેલી બૅન્ક દેના બૅન્કના નામથી ઓળખાઈ.


આવા દાનવીર મહાન ઉદ્યોગસાહસિક નાનજીભાઈનું અવસાન 24 ઑગસ્ટ 1969ના રોજ થયું.


સંદર્ભ :


1.મારી અનુભવ કથા લેખક : નાનજી કાલિદાસ મહેતા, પ્રકાશક : આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ, પોરબંદર 1979


2.૫૧ જીવનઝરમર, લેખક : જીતેન્દ્ર પટેલ , પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, આવ્રુતિ (બીજી) 2018, અમદાવાદ


3.Entrepreneurship in Africa: a study of successes. David S. Fick


4.નાનજી કાલિદાસ મહેતા, લેખક : મહેન્દ્ર છત્રારા, મીડિયા પબ્લિકેશન્સ, જુનાગઢ 2011


5.Nanji Kalidas Mehta, Dream Half-Expressed: An Autobiography (Bombay: Vakils, Feffer and Simons, 1966),

લી મિતાલી ફેશન

અતિત ની સુંદર યાદો

  ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી   એ અમારી કાયમી ટેવ હતી..! અને ભણવાનો તણાવ ? પેન્સિલનો પાછલો હિસ્સો  ચાવી ચાવીને  તણ...